માંડવીના ઉશ્કેર નજીક નહેરમાં પડેલું ભંગાણ રીપેર થતાં પાણી છોડાયું
10-03-2025

70 મજુરોએ રાત દિવસ કામગીરી કરી
સુરત જિલ્લાના માંડવીના ઉશ્કેર ગામ નજીક જમણાં કાંઠાની મુખ્ય નહેરમાં પડેલું ભંગાણ રીપેર કરવા માટે ચાલી રહેલ સમારકામમાં આજે માટીકામ પૂર્ણ કરી પાળો તૈયાર કરી દેવાતા સાંજથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ હતી. અને આગામી બે ત્રણ દિવસમાં ખેડૂતોને પાણી મળતુ થઈ જશે.
૪ હિટાચી, ૪ જેસીબી, ૨૦ હાઈવા અને ૭૦ મજુરોએ રાત દિવસ કામગીરી કરી : તબક્કાવાર પાણી છોડવાનું શરૂ
ઉકાઈ ડેમ પરથી પસાર થતી ડાબા અને જમણા કાંઠા નહેરમાંથી માંડવીના ઉશ્કેર નજીક પસાર થતી જમણા કાંઠાની નહેરમાં બુધવારે મળસ્કે મસમોટું ગાબડું પડયું હતું. જેના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તો ખેડૂતોને ખેતરોમાં પણી નહીં મળતા ચિંતાનું મૌજુ ફરી વળ્યુ હતુ. દરમિયાન સિંચાઇ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દીધા બાદ આજે માટી કામ પૂર્ણ કરી દીધું હતું.
આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી સતીષ પટેલના જણાવ્યા મુજબ બુધવારે મળસ્કે નહેરમાં ગાબડું પડયા બાદ પાણી બંધ કરી દેવાયું હતું. પરંતુ જયાં ગાબડું પડયું હતું ત્યાંથી એક દિવસ ફક્ત પાણી ઉતારવામાં લાગ્યો હતો. ત્યારબાદ ચાર હિટાચી, ચાર જેસીબી, ૨૦ હાઇવા અને ૭૦ મજુરોની મદદથી રાત-દિવસ કામગીરી કરીને આજે માટીકામ પૂર્ણ કરી દેવાયુ હતુ. આજે સાંજથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. અને આગામી બે થી ત્રણ દિવસમાં ખેડૂતોને પાણી મળતું થઇ જશે.